GANPTI SANDESH
રચનાનો વિચારણીય સંદેશ

સાક્ષાત્ પરબ્રહ્મસ્વરૂપ ગજાનન સર્વ દેવગણ અને ધર્મપ્રેમીઓ માટે સન્માનીય દેવ છે. ગણપતિની પ્રથમ વંદના વિના કોઈ પણ કાર્ય-આયોજન નિર્વિઘ્ને પાર પડી શકે નહીં. ગણપતિને રાજી કર્યા વિના કોઈનું કલ્યાણ પણ સંભવ નથી તેવો મહાપ્રતાપ ઉમા અને શિવજીના આ પુત્ર ધરાવે છે. ગણનો અર્થ સમૂહ, વર્ગ, સંપ્રદાય જેવો થાય છે અને ઇશનો અર્થ સ્વામી થાય છે. આમ દેવગણ અને શિવગણોના સ્વામી એટલે જ ગણેશ. ગણ નામના દૈત્યનો નાશ કરવાથી તેઓ ગણેશ કહેવાય તેમ પણ કેટલીક પૌરાણિક કથાઓ કહે છે. ગણપતિના શરીરની વિલક્ષણ રચના પણ વિચારણીય સંદેશ આપે છે.
ગજમસ્તક : વિશાળ અને પહોળું લલાટ બુદ્ધિમતા અને વિવેકશીલતાનો પરિચય આપે છે. એટલા માટે જ ઋષિ વેદવ્યાસે તેમના મહાભારત ગ્રંથની રચનામાં ગણપતિની સહાય લીધી હતી. કોઈ પણ મુદ્દાની ગ્રાહ્યતાની તેમની શક્તિ ગજબની હતી તેથી જ તેઓ ગ્રંથલેખન માટે ઋષિ સામે શરત મૂકી શક્યા હતા.
દીર્ઘનાસિકા : પોતાના માન-ગૌરવના પ્રતીક સમાન ‘નાક’ની જાળવણી માટે કશું પણ ત્યાગવું પડે તેની ચિંતા ના કરશો. પોતાની અને રાષ્ટ્રની માનમર્યાદા સદૈવ જાળવી રાખો તેવો સંદેશ ગણપતિની દીર્ઘનાસિકા આપે છે.
ગજકર્ણકાય : વિશાળ કાન શ્રવણ અને મનનનો સંદેશ આપે છે. નાનું-મોટું હોય તે બધુંજ સાંભળો અને ગ્રહણયોગ્યને પાસે રાખી તેનું મનન કરો. નાની આંખો દૂરદર્શિતાનુંપ્રદર્શન કરે છે. આંખો વિશાળ અને મોહક ન હોય તો ચાલે, પણ દૂરનું જોઈ-વિચારી શકે તેવી જરૂર હોવી જોઈએ.
લંબોદરાય એટલે કે વિશાળ પેટના બનો. છીછરા રહેશો નહીં. માન હોય કે અપમાન પેટમાં ઉતારી જાઓ અને સંતોષી રહો. મોદક એટલે લાડુ તો મીઠાશનું પ્રતીક છે. સર્વજન સાથે મીઠાશ ફેલાવી શકશો તેવો સંદેશ મોદકપ્રિય ગણપતિ આપે છે.
ગણપતિના હાથમાં કમળનું પુષ્પ છે જે સ્નેહ અને સુવાસનું પ્રતીક છે. તો બીજા હાથમાં શસ્ત્ર છે. આવશ્યકતા અનુસાર શસ્ત્રને ઉઠાવવામાં પાછીપાની કરશો નહીં. શત્રુને હણવામાં અને પ્રજાના રક્ષણમાં શસ્ત્ર ઉઠાવવાં જરૂરી છે. એક હાથમાં લેખિની છે જે બુદ્ધિમતા અને જ્ઞાનનું પ્રતીક છે. પ્રજામાં જ્ઞાન અને સાક્ષરતાનો પ્રસાર કરશો તો સમજણ અને સામાન્ય બુદ્ધિ પણ તેમનામાં આવશે.
મૂષક વાહન: ગણપતિ આટલા વિશાળકાય અને મૂષક એટલે ઊંમદર, બંને વિરોધાભાસી છે. મૂષક ગણપતિનો ભાર ઝીલી શકે નહીં તે દેખીતી વાત છે, પરંતુ તેમનું વાહન એક પ્રતીક છે. વિશાળકાય હોવા છતાં તમારો ભાર અદના પ્રજાજનને લાગે નહીં તેવું વર્તન રાખો. કોઈ પણ વિરોધાભાસમાં સમતા જાળવી રાખશો તો મૂષક જેટલી ચપળતા દર્શાવી શકશો. મૂષકનું પ્રતીક ડહાપણનું છે. ડહાપણ પર સવાર થતા શીખો, ક્રોધ પર સવાર થશો નહીં. નાના માનવી સાથે પણ તાદાત્મ્ય જાળવવામાં તમારી મોટાઈને વચમાં લાવશો નહીં તેમ ગણપતિ પોતાના વાહનની પસંદગી દ્વારા સૂચવે છે. સંસારમાં નાનામાં નાના જીવનું મહત્ત્વ છે. ભગવાન શ્રીરામે ખિસકોલીને મહત્ત્વ આપ્યું છે તે જ રીતે ગણપતિએ ઊંદરને સ્થાન આપ્યું છે.
ગણપતિનું પૂજન એટલે જ પરમેશ્વરનું પૂજન. એકચિત્ત થઈ માનવી ગણેશ-ગજાનનની આરાધનામાં પ્રવૃત્ત થાય તેની બુદ્ધિ પણ શાંત અને ધીરગંભીર થાય છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા ઉદ્વેગ શાંત થઈ સ્વત: રિદ્ધિ-સિદ્ધિમાં ફેરવાઈ જાય છે તે માત્ર ગણપતિની આરાધનાનું ફળ છે. ગણપતિના અસંખ્ય નામોમાંથી માત્ર ૧૨ નામો સાથે તેમને લીલુંછમ ઘાસ ચડાવાય તેટલાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે.
સુમુખાય નમ:, એકદંતાય નમ:, કપિલાય નમ:, ગુજકર્ણાય નમ:, લમ્બોદરાય નમ:, વિકટાય નમ:, વિઘ્ન વિનાશાય નમ:, ધૂમકેતવે નમ:, ગણાધ્યક્ષાય નમ:, ભાલચંદ્રાય નમ:, ગજાનનાય નમ: જેવાં બાર નામોના પાઠથી પણ ગણપતિ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ‘ઓમ ગં ગણપતયૈ નમ:’ અથવા ‘ઓમ તત્ત્પુરુષાયવિઇહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદયાત્’ના મંત્રનો નિરંતર જાપ કરવાથી ભગવાન ગજાનન ઋણ, રોગ, દારિદ્રય, રાજ્યભય, આતંક સહિત તમામ આધિ-વ્યાધિથી મુક્ત કરાવી રિદ્ધિ-સિદ્ધિ અને વિલક્ષણ બુદ્ધિ પ્રદાન કરે છે.
ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હોવાનું મનાય છે અને તેથી જ આ દિવસથી ગણેશોત્સવનો આરંભ થાય છે, જે અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. એક અન્ય માન્યતા અનુસાર માતા પાર્વતી દ્વારા ગણપતિનો સર્વ પ્રથમ આવિર્ભાવ મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીઓ થયો હતો. આ તિથિને સંકટ તિથિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે.
સ્કંદ પુરાણમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની ચોથનો મહિમા વિશેષ છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધનાથી તેઓ પોતાના ભક્તોને સમસ્ત કાર્યોમાં સફળતા અપાવે છે. ગણપતિના ગુણોના પ્રતીકને જીવનમાં ઉતારવાથી તો આપોઆપ સિદ્ધિ સાંપડે છે. આવા સિદ્ધિવિનાયક દેવ ગણપતિને નમસ્કાર કરી તેમની ઉપાસના કરીએ.